ચોમાસુ એટલે સર્પોનો "ફૂડ ફેસ્ટિવલ" . . . ચોમાસામાં સાપ નિકળવાની ઘટનાને સમજવા પ્રયત્ન કરીએ.



ચોમાસા દરમિયાન અવારનવાર જોવા-સાંભળતા સાપના કિસ્સા બાદ શિયાળામાં આ સાપ અચાનક અદૃષ્ય કેમ થઈ જતા હશે એ અંગે વિચાર્યું છે કદી ? ના આપણને એવી વિચારવાની ટેવ જ ક્યાં છે ?


મેં ગાંધીનગરમાં એક વાર ખૂબ વિચિત્ર કિસ્સો જોયેલો. સેક્ટર ૧૯ના એક બંગલામાં એક રાત્રે ૮ ફૂટની એક ધામણ એક વૃક્ષના મૂળીયામાં ફસાઇ ગઇ હશે. નોકરોએ તેને સવારે જોઇ અને મને ફોન કર્યો ... જઇને જોયું તો આ ધામણ મરી ગયેલી અને સાવ રબ્બરના ટાયર જેવી થઇ ગઇ હતી. ત્યાંથી તેને હળવેથી બહાર કાઢી તો તેના મોંમાંથી પાણી અને લોહી અલગ અલગ થયેલું પ્રવાહી નિકળ્યું. અવો કિસ્સો પ્રથમવાર જોયેલો એટલે જલદી સમજાયું નહીં કે આમ કેમ થયું હશે, પરંતુ પછીથી ઘણા મનોમંથન બાદ તેનું વૈજ્ઞાનિક કારણ સમજમાં આવેલું. પ્રકૃતિના કોઈ પણ તત્વની એક ઘટનાને સમજવી હોય તો તેની સાથે સકળાયેલા અનેક પાસા સમજવા જરૂરી બની જતા હોય છે. આમ શિયાળામાં સર્પોના અદૃષ્ય થઈ જવાની ઘટનાને બે બાબતો સાથે સીધો સંબંધ છે. એક તો ઉનાળામાં પ્રજનન અને ચોમાસામાં વૃકોદરની જેમ ખાધા કરવું. તો આ મુદ્દાને બર્ડ આઈ વ્યુની જેમ નીરખીએ અને સમજવાનો પ્રયાસ કરીએ.

ચોમાસુ આવે એટલે ચારે તરફ હરીયાળી છવાઇ જાય ... ચોમાસાના દિવસોમાં એવું પ્રતિત થાય કે જાણે કુદરત ઉત્સવ મનાવી રહી છે. ખરેખર જુઓ તો ચોમાસુ એક એવો સમયગાળો છે જેમાં કુદરતે જાણે મોટા પાયે સર્જન-વિસર્જનની મોટી પ્રક્રિયા જ ના આરંભી હોય ! ઉતરતા ઉનાળા અને ચોમાસાની શરૂઆતની સાથે જ સર્પોની ગતિવિધિઓ તેજ બનવા માંડે અને માનવ અને સર્પો વચ્ચે આમના-સામનાની ઘટનાઓ વધી પડે. આ સમયગાળામાં જ કેમ સર્પો વધુ સક્રિય બનતા હોય છે તેની પાછળ પણ એક સુંદર, સરળ પરંતુ સમજવા જેવું રહસ્ય છુપાયેલું છે. તો ચાલો ત્યારે, આજે ચોમાસામાં સાપ નિકળવાની ઘટનાને સમજવા પ્રયત્ન કરીએ . . .

સર્પ એ એક ઠંડા લોહીવાળું (કોલ્ડ બ્લડેડ) પ્રાણી છે. ઠંડા લોહી વાળા પ્રાણીઓને પોતાના શરીરના તાપમાનને નિયંત્રિત કરવા માટે બાહ્ય પરિબળોનો સહારો લેવો પડે છે એટલે કે શિયાળામાં તડકાનો અને ઉનાળામાં ઠંડક એટલે કે છાંયડો તથા ભીનાશ વાળી જગ્યામાં સહારો લેવો પડે. તેથી અજગર જેવા મોટા કદના સર્પો શિયાળામાં તડકો ખાતા એટલે કે બાસ્કિંગ કરતા જોવા મળે છે. એવી જ રીતે મેં ભર ઉનાળે ઘણી વાર કોબ્રા, ધામણ જેવા મોટા કદના સર્પોને ઘરોની આસપાસ ઉગાડેલા છોડની નીચેની, બગીચામાંની ભીની જગ્યામાં લાંબા થઇને શરીરને ઠંડુ કરતા જોયા છે. ભારત વિષમ આબોહવા ધરાવતો દેશ હોવાથી જ્યારે શીયાળો આવે ત્યારે ઠંડી પણ ઘણી તીવ્ર પડે છે. ઉનાળામાં તો સર્પો છુપાઇ રહે અને સાંજ પડ્યા પછી બહાર નિકળે તો ચાલે, કારણ કે સાંજે વાતાવરણ તેમના માટે સહ્ય બની જ ગયું હોય ... પરંતુ શિયાળામાં જો ભૂલથી પણ કોઇ સર્પ પોતાના માટે ઠંડીથી સુરક્ષિત એવી જગ્યા શોધીને છુપાઇ ના શક્યો તો સમજો કે તેનું કામ તમામ ! કારણ એટલું એ જો તે ઠંડીમાં બહાર રહી જાય તો તેનું લોહી ઠરી જ જાય અને સવાર સુધીમાં તેનું લોહી અને તેમાંનુ પાણી અલગ અલગ થઇ જાય. આમ શિયાળામાં પોતાના શરીરને ગરમ રાખવા માટે મોટા ભાગના સાર્પો શીત નિંદ્રા(Hybernation)માં જતા રહેતા હોય છે. શિયાળાના આ ચાર મહિના સર્પો પોતપોતાના છુપા નિવાસસ્થાનમાંથી ભાગ્યે જ નીકળે છે. તો આ ચાર મહિના દરમિયાન તેઓ ખાય શું, પીવે શું ? આનો જવાબ મળશે હવે પછી...

ચોમસાના ચાર મહિના દરમિયાન સર્પોના પોષણ માટે કુદરતે એક સુંદર આયોજન કર્યું છે ... શિયાળા પહેલાં આવે ચોમાસુ ... નાના કદના સર્પો નાના કદના દેડકાં, ગરોળી, ઉંદર અને જીવડાં પણ આરોગી જતાં હોય છે. તમે પણ એ વાત નોંધી જ હશે કે ચોમાસા દરમિયાન પહેલા વરસાદ સાથે જ દેડકાં, જીવડાં અને કીટકોની સંખ્યામાં ખૂબ જ વધારો જોવા મળે છે. કુદરતે સર્પો અને તેના જેવા શીત રૂધીર વાળા અન્ય જીવો માટે એક એવી વ્યવસ્થા વિચારી રાખેલી છે કે આ બધા જીવો જે શીત નિંદ્રામાં જવાના હોય તેમને માટે જ આવાં જીવડાં તથા કીટકો પણ ચોમાસા દરમિયાન જ પ્રજનન અને પ્રજોત્પતિ કરે. મોટા ભાગના સર્પોના બચ્ચાં પણ ચોમાસામાં જ જન્મતાં હોય છે અને તેમને પણ ચોમાસાના ચાર મહિના દરમિયાન ભરપૂર ખોરાક મળી રહે અને આ બચ્ચાં પણ ચોમાસા દરમિયાન જેટલું ખવાય તેટલું ખાઇ પી ને તગડાં બની જાય ... એટલે કે પોતાના શરીરોમાં વધારાની ચરબીનો સંગ્રહ કરી લે ! અસ્સલ ઊંટ જેમ પોતાની ખૂંધમાં ચરબીનો સંગ્રહ કરે છે તેમજ સર્પો અને દેડકાં પણ પોતાના શરીરોમાં ચરબી જમા કરી લે છે. આ સીઝનમાં સર્પો જે મળે તે, ભૂખ ના હોય તો પણ આરોગી જતા હોય છે . . . મેં ગાંધીનગરના ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાંથી એક ૧૦ ફૂટની ધામણ પકડી હતી. આ ધામણને પકડતા તેણે પોતાના પેટમાંથી મોટા કદના બે દેડકાં અને 3 ઉંદર ઓકી કાઢેલા !

મારા મનમાં ઊગી આવેલી એક અચરજ ભરી વાત આપ સૌને પણ જણાવવા માંગુ છું . . . બધાને કદાચ આ વિચાર નહીં આવ્યો હોય, પરંતુ આ શીત નિંદ્રા દરમિયાન સર્પો પોતાના શરીરની ચરબી કેવી રીતે વાપરતા હશે તે અંગે મેં થોડો અભ્યાસ કર્યો અને તે અભ્યાસ બાદ મને એક નવી વાત જાણવા મળી કે સર્પો પણ પ્રાણાયમના નિષ્ણાંત હોય છે ! લાગ્યો ને ઝટકો ... ? જાણવા મળ્યા મુજબ પ્રાણાયમ કરનારા પોતાના હૃદયની ધડકન, રક્ત પ્રવાહની ઝડપને નિયંત્રિત કરી શકતા હોય છે. એ જ રીતે સર્પોના શીત નિન્દ્રાના સમયગાળાના થયેલા અભ્યાસો પણ જણાવે છે કે શીત નિન્દ્રા દરમિયાન તેઓ પોતાના હૃદયના ધબકારા ઘટાડી નાંખતા હોય છે તથા હૃદયના ધબકારા ઘટાડવા માટે પોતાનું રૂધિરાભિસરણ પણ સાવ ધીમું કરી નાંખતા હોય છે. આમ કરવાથી શરીરની Vital Processes માટે ખૂબજ ઓછી ઊર્જાની જરૂરત પડે અને ચોમાસા દરમિયાન એકઠી કરેલી ચરબી સર્પના શરીરને આખા શિયાળા દરમિયાન ટકી રહેવાનું બળ પૂરું પાડે છે . . . આમ જ્યારે શીયાળો આવે ત્યારે તેઓ પોતાની છુપાવાની જગ્યાએ ચાર જેટલા મહિના આરામથી ખોરાક અને પાણી વિના જ વિતાવી શકે છે, આ ચરબીમાંથી પોષણ મેળવી મેળવીને. તેથી જ હું હંમેશાં કહું છું કે ચોમાસાની સાથે શરૂ થાય છે સર્પોનો ફૂડ ફેસ્ટિવલ” . . . ! જો કે આ ઘટનાચક્ર દરમિયાન સર્પો માટેનું જોખમ પણ એટલું જ વધી જાય છે. પરંતુ સુંદર વાત એ પણ છે આપણી સંસ્કૃતિ અને સામાજિક રચનાની, કે ચોમાસાની સીઝનમાં જ આવે શ્રાવણ મહિનો . . . સર્પોનો રક્ષક બનીને. ફરી ક્યારેક આપણે સર્પોના ધર્મ, અધ્યાત્મ અને મનોવિજ્ઞાન સાથેના અનુસંધાન અને તેની સાર્થકતા અંગે પણ વાત કરીશું. અસ્તુ.

- vichar_valonu@yahoo.com

Comments

  1. ખૂબ સુંદર માહિતી...એકદમ વિશ્લેષણાત્મક....

    ReplyDelete
  2. Khub saras mahiti trivedi saheb

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. કોમેન્ટ કેમ ઉડાવી દીધી ભાઈ ? વાંચવા બદલ ધન્યવાદ

      Delete
  4. ખુબ સુંદર માહિતી.

    ReplyDelete
  5. રોચક અને જાણકારી મળે એવું.👌

    ReplyDelete
  6. ભાઈ ... પ્રકૃતિએ જે મિકેનિઝમ બનાવ્યું છે એ એટલું તો સરસ મજાનું છે કે બધી જ વસ્તુ કે દરેક જીવ એક બીજા માટે ભોગ્યોપી હોય છે અને એમાં કોઈ એક બીજા ચંચુંપાત નથી કરતા, એ દરેક નું માઈન્ડ સેટ જ એવું ગોઠવાયું હોય છે...

    પણ હવે અહીંયા સવાલ જ એ થાય કે માણસ નું માઈન્ડસેટ કેમ આ રીતે સેટ નૈ હોય?

    ReplyDelete
    Replies
    1. પ્રકૃતિનો લય સહજ છે . . . આપણે આપણી પ્રજ્ઞાને આધિન બનીને એ લય્ત ગુમાવી બેઠા છીએ . . . મનના આધિપત્ય સામે હ્રદયની સંવેદનાઓ ક્ષીણ બની જઈ રહી છે. ધન્યવાદ ભાઈ . .

      Delete
  7. સુરેખ માહિતી. જેમ મોબાઈલના એક્સ્ટ્રા એપ્લિકેશન શટ કરી બેટરી બચવાય -એવું જ કૈંક આ સાપલોકો કરે શિયાળામાં... 😊😊

    ReplyDelete
    Replies
    1. યાહ યાહ . . . પાવર સેવિંગ મોડ છે . . . ધન્યવાદ રાજુ . . .

      Delete
  8. શીતનિદ્રા બાબત સરસ વિશ્લેષણ.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

“તર્કબદ્ધતા અને સંપૂર્ણ અતાર્કિકતા વચ્ચે પ્રવાસ કર્યા કરતા લોકોની આભાસી દુનિયાની બે બાજુ . . . ડાહ્યાલેન્ડ અને ગાંડાલેન્ડ . . .”

સર્પોની દૂનિયાના અજીબો-ગરીબ લૂક અલાઈક સર્પો.

જીવનમાં અમૃત છે તો સામે પક્ષે ઝેર પણ છે