મિત્રો, ચાલો સર્પોની રહસ્યમય દુનિયામાં ડોકિયું કરીએ . . .
જિજ્ઞાસા અને કુતુહલવૃત્તિ જીવન બદલી શકે છે, અને તમારી જિજ્ઞાસા અને જ્ઞાનની ભૂખ ખરેખર તીવ્ર હોય અને દિલથી પ્રયાસ કરો તો જ્ઞાનપ્રાપ્તિ માટેના માધ્યમો મળી જ આવે છે. કૌન કહેતા હૈ આસમાં મેં સુરાખ નહીં હોતા?
कौन कहता है आसमां में सुराख नहीं हो
सकता,
एक पत्थर तो तबियत से उछालो यारों
- दुष्यन्तकुमार
વાત છે વામનમાંથી
વિરાટ બનવાની. એમ તો સૌને વિરાટ જ જોઈએ છે. નબળું કોને જોઈએ છે? પણ વામનમાંથી વિરાટની યાત્રા આમ ભલે માત્ર દોઢ
પગલાંની જ હોય, પરંતુ એ દોઢ પગલાં ભરવાની હિંમત કેટલા પાસે હોય
છે? કારણ માત્ર એટલું કે જીનેટિક ડિઝાઈનમાં જે
મટીરીયલ મળવું જોઈએ તે સૌ પાસે થોડું હોય? આજે એક એવા
બાળકની વાત કરવી છે જેની શક્તિ તેના પ્રશ્નો અને જિજ્ઞાસાવૃત્તિમાં છુપાયેલી છે. સન.
૨૦૦૩માં ગાંધીનગરના મારા સરકારી ક્વાર્ટર પર એક બાળક પૂછતું પૂછતું પહોંચ્યું. સાવ
દૂબળુ-પાતળું આ શ્યામ બાળક, સહેજ પણ સંકોચ
વગર પોતાનો જેવો-તેવો પરિચય આપીને મારી સામે ગોઠવાયું. અને પછી ચાલી વાતો. એને
જાણવું હતું સાપ વિશે. ગાંધીનગર સમાચારમાં એ વખતે મારી પ્રવૃત્તિની સ્ટોરીઝ ઘણી
આવતી. આ બાળક પહોંચેલું ગાંધીનગર સમાચારની ઓફિસે અને ત્યાંથી મારું સરનામું
મેળવેલું ! આ બાળકની ઉંમરે અમને પોતાને પૈસે લારી પર નાસ્તો કરતાં પણ શરમ આવતી, ત્યારે આ બાળકની હિંમત મને સ્પર્શી ગયેલી.
એ એક પછી એક
પ્રશ્નો પૂછતું જતું, અને હું એની ઉંમર
જોઈને તેને સમજાય એવી ભાષામાં જવાબો આપતો. મને ઘણી વાર પ્રતિત થતું કે આ બચ્ચું
મોઢેથી જેટલું બોલે છે, પૂછે છે એના
કરતાં તેની આંખો વધુ બોલતી હતી. સાચું કહું તો ઘણી વાર મને કંટાળો પણ આવી જતો. પણ
એનું એક શરમાળ સ્મિત અને બોલકી આંખો મને પીગળાવી દેતી. અમે બેસીએ ત્યારે એના
પ્રશ્નોનું ક્ષેત્ર મોટે ભાગે સર્પો અંગેની એની બાળસહજ સમજણ પર આધારિત પ્રશ્નો
રહેતા. આજે આ બાળક ઉત્સવ પરમાર ભારત સરકારની ઈન્ડિયન ઇન્ફોર્મેશન સર્વિસીઝમાં
જોડાઈને અમદાવાદ દૂરદર્શનના ડેપ્યુટી ડાયરેક્ટર પદે ખૂબ સુંદર કામગીરી કરી રહ્યું
છે. તો ચાલો સર્પોની રહસ્યમય દુનિયામાં ડોકિયું કરીએ. ઉત્સવ પરમારે ૨૦૦૩માં
બાલ્યાવસ્થામાં તૈયાર કરેલા પ્રશ્નો પરથી સર્પો અંગેના મારા ઉત્તરો સૌના
જ્ઞાનવર્ધન માટે પ્રસ્તુત છે.
પ્ર. ૧. સાપને
રોગ થાય છે ? કેવા ? ક્યા ?
ઉ.૧. સાપ એક
પ્રાણી હોવાથી તેને થતા રોગો ઝૂનોટિક ડીસીઝીસ કહેવાય. મોટે ભાગે પ્રાણીઓને થતા
રોગોનો ચેપ માનવને લાગતો નથી, પરંતુ એવા રોગો પણ હોય જે પ્રાણીમાંથી માનવને પણ લાગી શકે
છે. સાપના પણ ઘણા રોગ
એવા હોય છે જેનો ચેપ માનવને લાગી શકે છે. સાપમાં જોવા મળતા ઉદાહરણો છે :
સાલ્મોનેલ્લા, બોટુલીઝમ, લેપ્ટોસ્પાઈરોસીસ.
પ્ર. ૨. સાપથી
આપણને કોઈ રોગ થાય છે ?
ઉ.૨. સાલ્મોનેલ્લા, બોટુલીઝમ, લેપ્ટોસ્પાઈરોસીસ
આ બધા એવા બેક્ટેરિયા છે જેનું સંક્રમણ માનવને થઈ શકે છે.
પ્ર. ૩. કેટલા
સાપ કૂદકા મારી શકે ? કેટલાં ઊંચા ? ક્યા સાપ ?
ઉ.૩. ગુજરાતનું
ઉદાહરણ લઈએ તો સો-સ્કેલ્ડ વાઈપર અથવા ફુરસો નામનો સાપ પોતાના શરીરની લંબાઈના
ત્રીજા ભાગ જેટલા અંતર સુધી કૂદી શકે છે. આપણે જેને તણસ એટલે કે બ્રોન્ઝબેક્ડ ટ્રી
સ્નેક તરીકે ઓળખીએ છીએ, તે એક વૃક્ષ પરથી
નજીકના અંતરે આવેલા વૃક્ષ પર કૂદી શકે છે. પરંતુ એ માનવની જેમ કૂદકા મારી શકે નહીં.
પ્ર. ૪. શું સાપ
નિરંતર ફૂંફાડા મારે છે ?
ઉ.૪. ફૂંફાડા
મારવા એટલે આપણે માટે સાપ ગુસ્સાથી અથવા ડરથી ચેતવણી આપવા જે અવાજ કરે તે. પરંતુ
સર્પ કદી યોગ્ય કારણ સિવાય ફૂંફાડા મારે નહીં. સાપ ફૂંફાડાનો અવાજ ગળામાંથી કરતો
નથી પરંતુ પોતાના ફેફસામાં હવા ભરી નાક
દ્વારા જોરથી બહાર ફેંકે તેનો હોય છે. સાપ કારણ વગર ફૂંફાડા મારતો ન હોય તો પછી
નિરંતર ફૂંફાડા મારે જ નહીં.
પ્ર. ૫. વર્મ
સ્નેક ક્યાં દેખાય છે ?
ઉ.૫. વર્મ સ્નેક
પોચી માટી વાળી જમીન જ્યાં પણ હોય ત્યાં જોવા મળે છે. ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં
વર્મ સ્નેક જોવા મળે છે.
પ્ર. ૬. સાપ
નોળીયા સિવાય કોનો ખોરાક છે ?
ઉ.૬. નોળીયા
સિવાય મોર, મોટા ભગના શિકારી
પંખી તથા ઘોરખોદીયા પણ સાપનો શિકાર કરતા જોવા મળે છે.
પ્ર. ૭. સાપથી
કોઈ નુકશાન થાય છે ?
ઉ.૭. સાપ ઝેરી
હોય અને તે દંશે તો જ તેનાથી નુકસાન થાય છે. આમ પણ સાપ માત્ર બે સંજોગોમાં દંશતો
જોવા મળે છે, એક તો શિકાર કરવા
માટે અને બીજા કિસ્સામાં સ્વબચાવ માટે.
પ્ર. ૮. સાપમાં
સૌથી ઝેરી કયો ?
ઉ.૮. પૃથ્વી પર
સૌથી ઝેરી સર્પ કયો તે ચર્ચાનો વિષય છે. માત્ર ઓસ્ટ્રેલિયામાં જ વિશ્વના સૌથી ઘાતક
કહેવાય તેવી દસ જાતો છે, પૃથ્વી પર દરેક
વિસ્તારમાં અમુક સર્પો તે વિસ્તાર માટે સૌથી ઝેરી હોય. ભારતમાં કાળોતરો, આફ્રિકામાં મમ્બા, ગબૂન વાઈપર, અમેરિકામાં રેટલ
સ્નેક ઇત્યાદિ. પરંતુ મારા મતે આ પૃથ્વી પર સૌથી ઘાતક અને ઝડપથી અસર કરતું
સર્પોનું ઝેર હોય તો તે ‘દરિયાઈ સર્પો’નું હોય છે.
પ્ર. ૯. સાપ
કેટલા દિવસ સુધી ભૂખ્યો રહી શકે છે ?
ઉ.૯. સર્પો ખૂબ
લાંબા સમય સુધી ભૂખ્યા રહી શકે છે. સર્પો પોતાના શરીરમાં જ્યાં સુધી ચરબી હોય
ત્યાં સુધી ભૂખ્યો રહી શકે છે. કેપ્ટીવીટીમાં એટલે કે બંધનાવસ્થામાં અમુક અજગરોએ
એક એક વર્ષ સુધી ખોરાક સ્વેચ્છાએ ન લીધાના દાખલા છે.
પ્ર. ૧૦. સાપનું
ઝેર કોને અસર નથી કરતું ?
ઉ.૧૦. સર્પોનો શિકાર
કરતાં પ્રાણીઓ જેવાં કે શેળો, નોળીયા, ઘોરખોદીયા, આફ્રિકાનું સેક્રેટરી બર્ડ, ઘણા બાજની જાતિના પક્ષીઓ સર્પના ઝેરથી ઈમ્યુન
હોય છે.
પ્ર. ૧૧. સાપનું
ઝેર કાઢ્યા પછી તેની દવા કેમની બનાવાય ?
ઉ.૧૧. આપણે સૌ
એવું માનીએ છીએ કે સાપના ઝેરમાંથી સીધી ઝેરની દવા બનાવાય છે, પરંતુ હકીકત કઈંક
અલગ છે. સાપના ઝેરની દવા બે પ્રકારની હોય છે. એક મોનો-વેલન્ટ અને બીજી
પોલી-વેલન્ટ. જે દવા માત્ર એક સાપના ઝેર સામે કામ લાગે તે મોનો-વેલન્ટ, અને જે દવા અનેક પ્રકારના સાપના ઝેર સામે કામ
આવે, તે પોલી-વેલન્ટ. ઘોડા અને મરઘીના શરીરમાં વધતી
માત્રામાં નિયમિત સમયે સાપનું ઝેર દાખલ કરવામાં આવે અને તેમના શરીરમાં ઝેર સામે
પ્રતિકાર કરતા જે એન્ટી-બોડીઝ બને, તેનો પાવડર બનાવી
સર્પના ઝેરના મારણ (એન્ટી સ્નેક વિનીન) તરીકે વાપરવામાં આવે છે.
પ્ર.૧૨. સાપના
શરીરમાં કેટલાં હાડકાં હોય છે ?
ઉ.૧૨. સર્પના
શરીરમાં એવરેજ ૨૦૦ થી લઈને ૪૦૦ સુધી હાડકાં જોવા મળે છે, જે સપોની જાતિ પર
આધારિત હોય છે.
પ્ર.૧૩. સાપ કેટલા મજબૂત હોય છે ?
ઉ.૧૩. સાપ એક રીતે બહુ નાજુક હોય છે, પરંતુ અત્યંત
વિષમ વાતાવરણ પણ સહન કરી શકે છે. ઝાડી ઝાંખરા, કાંટા અને જમીન પર ઢસડાઈને ચાલવા છતાં કોઈ ઈજા
ન થાય તેવું ભિંગડાનું બનેલું બાહ્ય શરીર હોય છે. આફ્રિકા, રાજસ્થાનના રણમાં
વાઈપર સર્પો ૫૦ ડિગ્રી સુધીની ગરમી પણ સહન કરી શકતા હોય છે, તો સામે પક્ષે
સર્પની ગાર્ટર સ્નેક જાતિ કેનેડાના લગભગ ઝીરો ડિગ્રી જેટલા ઠંડા વાતાવરણમાં પણ વસે
છે. પણ એ સિવાય સર્પોનું શરીર બહુ નાજુક હોય છે,
પ્ર.૧૪. જો સાપ
બિનઝેરી હોય તો પોતાનો ખોરાક કેમના પચાવે છે ?
ઉ.૧૪. જે સર્પો
બિનઝેરી હોય તેઓ પોતાના પેટના સ્ટ્રોંગ એન્ઝાઈમ્સ (પાચક રસો)થી પચાવે છે.
પ્ર.૧૫. સાપમાં
લાગણીઓ હોય કે નહીં ?
ઉ.૧૫. સાપમાં ડર, ગુસ્સો, બચાવ, સ્વબચાવ, મૈથુન જેવી
કુદરતી સમજણ હોય છે જેને લાગણી ન કહી શકાય. તે ગુસ્સો આવે ત્યારે હુમલો કરે, ડર લાગે તો ભાગી
જાય, સમયચક્ર પ્રમાણે
ભોજન અને મૈથુન કરે, પરંતુ માનવની
જેમ આ લગણીઓના આધારે યાદ રાખી પછીથી બદલો લેવાની કે એવી પ્રતિક્રિયા આપે નહીં.
દા.ત. તેને બચ્ચાં જન્મે ત્યારે ખુશ થઈને પેંડાને બદલે ઉંદર વહેંચવા નીકળતો નથી, કે પોતાનો સાથીદાર મરી જાય તો રડતો પણ નથી.
પ્ર.૧૬. સાપને
પાળી શકાય કે નહિ ?
ઉ.૧૬. કૂતરા કે
અન્ય પ્રાણીઓની માફક તેને પાળીને અજ્ઞાંકિત બનાવી શકાતો નથી. કોઈ તેને કેદમાં પૂરી
શકે પરંતુ તેની પાસે અન્ય પાળતુ પ્રાણી જેવું વર્તન કરાવી શકાતું નથી.
પ્ર.૧૭. સાપને
મગજ હોય ? કેટલું ?
ઉ.૧૭ દરેક સાપના
શારીરિક કદના અનુસંધાને તેના મગજનું કદ હોય છે. પરંતુ સાપની જાતિ-પ્રજાતિના ક્રમિક
વિકાસ અને જરૂરિયાતના અનુસંધાને તેનું મગજ કાર્ય કરતું હોય છે, જે તેની સહજ વૃત્તિઓ (બેઝીક ઇન્સ્ટિન્ક્ટ)
અનુસાર કાર્ય કરે છે. વિશ્વમાં સૌથી બુદ્ધિશાળી સાપ તરીકે એશિયામાં વસતો કિંગ
કોબ્રા છે. આ સાપ પોતાના ઈંડા મૂકવા માળો બનાવે છે, આ માળા પાસે કોઈ ફરકે તો તેના પર હુમલો કરી
પોતાના માળા તથા ઈંડાની રક્ષા કરે છે, જે સર્પોમાં એક
અદભુત વિરલ ઘટના માનવામાં આવે છે.
અસ્તુ.
- vichar_valonu@yahoo.com

Very good information.
ReplyDelete👍 👌 આ બ્લોગની નિયમિત મુલાકાત લેવી પડશે. સર્પને લગતી બધી પોસ્ટ સાચવી રાખી છે, પણ હવે આ વધુ સરળ રહેશે.
ReplyDeleteTir👍🙏
ReplyDelete