જીવનમાં અમૃત છે તો સામે પક્ષે ઝેર પણ છે
ભારતની સંસ્કૃતિ અને ધર્મ હંમેશાં જીવન-મૂલક રહ્યાં
છે. આપણા દરેક ધર્મનો નાતો મૂળથી જ જીવન
અને જીવનની નાની નાની બાબતો સાથે રહ્યો છે. આપણાં મહાકાવ્યો, ધર્મગ્રંથો
તેની સાક્ષી પૂરે છે. આપણા ધર્મગ્રંતો, તેની દાસ્તાનો માનવજીવનની સમાંતરે
વહે છે. ગીતાજી જો જીવન જીવવાની ફિલસૂફી રજુ કરે છે તો સામે પક્ષે રામાયણ અને
મહાભારત જેવા મહાકાવ્યો જીવાતા જીવનના સારા નરસાં પાસાઓને સુરેખ અને સાવ સરળ રીતે
રજૂ કરી જીવનના પાઠ ભણાવી જાય છે.
ભગવાન રામના બાળપણથી લઈને રાવણ
સામેના યુદ્ધ અને ત્યાર બાદના જીવનની વાત કંડારાઈ છે રામાયણમાં, તો શ્રી કૃષ્ણનું જીવન ચરિત્ર પણ
બાળક સહજ મસ્તી, તોફાનોથી
લઈને રાસલીલા અને રાક્ષસોના વધ અને એક આદર્શ રાજવી સુધીની જીવન યાત્રાનો તાદૃશ્ય
ચિતાર છે. મજાની વાત એ છે કે આપણા આ ગ્રંથો પોતે જ સૂચિત કરે છે કે જીવનમાં અમૃત
છે તો સામે પક્ષે ઝેર પણ છે. આમ જીવન સારા અને ખરાબ અથવા તો અમૃત અને ઝેરનું એક
સંતુલિત સંયોજન છે એ વાત પણ આડકતરી રીતે અનુભવી શકાય છે. પરંતુ એક કડવી હકીકત એ પણ છે કે
માનવને અમૃત જરૂર જોઈએ છે, પણ ઝેરનો સહજ સ્વીકાર નથી. ન ગમતાનો સ્વીકાર કરવાની વૃત્તિનો અભાવ જ આપણને
સર્પો પ્રત્યે દ્વેષભાવથી જોવા પ્રેરે છે એ પણ સ્વીકારવું જ રહ્યું.
આપણે અગાઉ જોયું તેમ સર્પો જ્યારથી જળચરમાંથી થળચર બન્યા
ત્યાર બાદ શરૂ થયેલી ઉત્ક્રાંતિની ઘટમાળના અનેક ચડાવ-ઉતારોના અનુભવોના આધારે
ચોક્કસ જાતિઓના સર્પોએ પોતાના ભરણ પોષણ અને શિકારને સરળ બનાવવા માટે પોતાના
શરીરમાં શિકારને નિષ્કાર્ય અને નિષ્પ્રાણ બનાવી શકે તેવા વિવિધ પ્રકારના ઝેર વિકસાવ્યા.
સર્પની ઝેર બનાવવાની પ્રક્રિયા તથા ઉપયોગિતા એક સમજવા જેવી પ્રક્રિયા છે.
સર્પોને બદનામ કરવા માટે
જવાબદાર જો કોઇ બાબત હોય તો તે તેનું ઝેર છે. માનવને બાળપણથી જ એક વાત દિમાગમાં
ઠસાવી દેવામાં આવે છે કે સર્પ કરડે એટલે મરી જ જવાય. ખરેખર હકીકત તો એવી છે કે
ગુજરાતમાં જોવા મળતા કુલ ૫૭ જાતિઓના સર્પોમાંથી માનવ માટે જોખમી કહેવાય એવા તો માત્ર
ચાર જ છે. જેને સર્પ પ્રેમીઓ અને સર્પ વૈજ્ઞાનિકો “બિગ ફોર” તરીકે ઓળખે છે. આ
ચાર સાપોમાંના બે ઇલાપીડી કુટુંબના (૧) નાગ અને (૨) કાળોતરો છે અને વીઇપેરીડી કુટુંબના બે (૧) ખડચીતળો અને (૨) ફુરસો છે. બાકી
અન્ય બે ઝેરી સર્પોની જાતિ પણ છે. લીલો
ખડચીતળ અને પ્રવાળ સર્પ, આ બન્ને માનવ માટે ઝેરી ગણવામાં આવતા નથી કે પછી આ બન્ને
સાપોના દંશથી કોઇ મૃત્યુ થયાનો રેકોર્ડ પણ નોંધાયો નથી. આમ સાપોની અંદજે કુલ ૬૦ જાતિઓમાંથી
ગુજરાતમાં માનવ માટે ઘાતક કહી શકાય તેવી માત્ર ૪ જ જાતિઓ છે. આ
પ્રમાણ અંદાજે કુલ સાપોના ૩% જેટલું ગણાય. તેમ છતાં માનવ મનમાં સર્પદંશની એટલી દહેશત ઊભી
કરી દેવામાં આવી છે કે આ દહેશત અને સર્પો અંગેનું અજ્ઞાન માનવીઓને સર્પોનો અવિચારી
સંહાર કરવા પ્રેરે છે.
સાપને ઝેર પ્રથમ શેના માટે
જરૂરી છે તે સમજીએ. માનવને જેમ ચાવીને ખાવાની સુવિધા છે તેમ સર્પને ચાવીને ખાવાની
સુવિધા નથી. માણસના મોંમાં જેમ એક પાચક લાળ ઝરતી હોય છે તેવી જ રીતે સર્પની અમુક
જાતિઓએ કોઇ અગમ્ય કારણોસર પોતાના ખોરાકને સરળતાથી પચાવવા માટે તથા પોતાના બચાવ
માટે શરીરમાં એક અલગથી ઝેર બનાવવાનું કારખાનું એટલે કે ઝેરની કોથળી નામનું અંગ
વિકસીત કર્યું છે, જેનું કાર્ય માત્ર ઝેરનું ઉત્પાદન
કરવાનું છે. આ કોથળી એટલે કે “પોઇઝન ગ્લેન્ડ” બે નળીઓથી “પોઇઝન ફેન્ગ” તરીકે ઓળખાતા ઝેરના દાંત સાથે જોડાયેલી હોય છે. આ બન્ને
દાંત પોલા અથવા ખાંચા વાળા હોય છે. જ્યારે સર્પ પોતાના શિકાર અથવા પોતાના શિકારીને
કરડે છે ત્યારે આ દાંતમાંથી ઝેર શિકાર અથવા હુમલાખોરના શરીરમાં જાય છે. આ ઝેર સર્પ
પર હુમલો કરનારને પીડા આપીને તેનું ધ્યાન ફંટાવે છે અને શિકારના શરીરમાં જો જાય તો
તે શિકારને મારી અને સડાવી નાંખે છે. આમ શિકાર કાં તો બેહોશ થાય અથવા મૃત્યુ પામે,
ત્યાર બાદ સર્પ શિકારને ગળી જાય છે.
સર્પનું ઝેર શિકારના પાચનમાં
કેવી રીતે મદદરૂપ થાય છે તે પણ એક સમજવા જેવી બાબત છે. સર્પનું ઝેર અતિશુદ્ધ
પ્રોટિન્સ અને એન્ઝાઇમ્સનું બનેલું હોય છે. ૯૦% પ્રોટિન્સ અને ૧૦% મેટલીક આયર્ન તથા એન્ઝાઇમ્સનું બનેલું ઝેર જ્યારે કોઇ
જીવતા શરીરની રૂધિરાભિસરણ પદ્ધતિમાં દાખલ થાય છે ત્યારે તે શરીરની લોહી-વહન કરતી
નળીઓ, કોષો, ચેતાતંત્ર અથવા
તો સીધું હૃદય ઇત્યાદિ જેવી મહત્ત્વની પ્રણાલીઓ પર હુમલો કરીને શિકાર અથવા તેના પર
હુમલો કરનારનું મૃત્યુ નિપજાવે છે. શિકારના શરીરને ચાવીને ખાવાની સુવિધાનો અભાવ
હોવાથી તેને પચાવવા માટે તે શિકારના શરીરને સડાવવાની પ્રક્રિયાને ઝેર ખૂબ જ ઝડપી
બનાવે છે. આમ શિકારના શરીરને સર્પ ખરેખર જ્યારે ગળતો હોય ત્યારે તેના જ પાચનની
પ્રક્રિયા તો શિકારના શરીરમાં જ શરૂ થઇ ગઇ હોય છે. ભારતમાં વિવિધ ઝેરી સર્પોમાં
કુલ બે પ્રકારનું ઝેર જોવા મળે છે.
૧. ન્યુરો ટોક્સિક, (ગુજરાતમાં નાગ અને કાળોતરો) અને
૨. હીમોટોક્સિક
(ગુજરાતમાં ખડચીતળો અને ફુરસો).
૩. સાયટોટોક્સિક (નાગ અને કાળોતરાના વિષમાં તે ઓછા પ્રમાણમાં
હોય છે)
૪. કાર્ડીયોટોક્સિક (નાગ અને કાળોતરાના વિષમાં તે ઓછા
પ્રમાણમાં હોય છે)
સૌ પ્રથમ ન્યુરો ટોક્સિક વિષ એટલે શું એ
સમજીએ. માનવની નર્વસ સીસ્ટમ એટલે કે ચેતાતંત્ર જેના દ્વારા માનવનું મગજ સમગ્ર
શરીરની તમામ પ્રક્રિયાઓનું સંચાલન કરે છે તે પ્રણાલી. જે સર્પોનું વિષ પોતાના
શિકારના ચેતાતંત્ર પર હુમલો કરીને તેને ખોરવી નાંખે તે ન્યુરો ટોક્સિક વિષ કહેવાય
છે. આ વિષ શિકારના શરીરમાં પ્રવેશીને નર્વસ સીસ્ટમના હુકમો આપતા કેન્દ્રોની
કામગીરી ખોરવી નાખે જેથી ધીમે ધીમે શરીરના અંગો કાર્યકરતાં બંધ થઈ જાય, અને એક સીસ્ટમ શટડાઉન થાય
તેમ માનવ શરીર પણ કાર્ય કરતું બંધ થાય અને વ્યક્તિ મૃત્યુ પામે. ગુજરાતના નાગ અને
કાળોતરો એમ બે સર્પોનું વિષ ન્યુરોટોક્સિક છે. આ બન્નેમાં કાળોતરાનું વિષ વધુ ઘાતક
ગણાય છે. કાળોતરાનું વિષ પ્રમાણમાં ઓછું હોવા છતાં નાગના વિષ કરતાં આઠ ગણું વધારે
ઘાતક સાબિત થાય છે.
આ રીતે ગુજરાતના અન્ય બે ઝેરી સર્પો છે
ખડચીતળો અને ફુરસો. આ બન્ને સર્પો વાઈપર એટલે કે જરાયુજ કુટુંબના છે. આ બન્ને
સર્પોની વિશેષતા એ છે કે અન્ય સાપોની જેમ તેઓ ઈંડા નથી આપતાં, સીધા બચ્ચાને જ જન્મ આપે
છે. આ બન્ને સર્પોનું વિષ હીમોટોક્સિક હોય છે. આ સર્પ પોતાના શિકારને દંશ આપીને જે
વિષ તેના શરીરમાં છોડે છે તે વિષ શરીરની રૂધિરાભિસરણ પ્રણાલીને ખોરવી નાખે છે,
લોહી પરિભ્રમણ કરતી નસોને ફાડી નાખે છે અને શરીરના કોષો પર પણ હુમલો
કરીને તેને નષ્ટ કરી દે છે. આમ તેનો શિકાર આંતરિક રક્તસ્ત્રાવ અને શરીરના અંગોને
થનારા નુકસાનથી જ મૃત્યુ પામે છે. હીમોટોક્સિક વિષની ખાસિયત એ પણ છે કે તે શરીરના
રક્તમાં રહેલા ક્લોટીંગ એજન્ટ કે જે ઘાવમાંથી વહેતા રક્તને રોકી લે છે, તે ક્લોટીંગ એજન્ટને જ નાકામ બનાવી દે છે, જેથી ઘણા
કિસ્સાઓમાં રક્ત વહી જવાથી પણ મૃત્યુ થઈ જાય છે.
હવે બાકી રહ્યા બે પ્રકારના વિષ. સાયટોટોક્સિક તથા કાર્ડીયોટોક્સિક. સાયટોટોક્સિક વિષ વિશ્વના સૌથી વિષયુક્ત
ગણાતા અન્ય દેશોના સર્પોમાં જોવા મળે છે. આફ્રિકાના બ્લેક મમ્બા, પફ એડર, મોઝામ્બિક
કોબ્રા, કેપ કોબ્રા તથા બુમસ્લેન્ગ નામના સર્પોમાં સાયટોટોક્સિક વિષ
જોવા મળે છે. આ વિષ વ્યક્તિના શરીરના સોફ્ટ ટીસ્યુઝ એટલે કે કોષિકાઓને ભયંકર
નુકસાન પહોંચાડે છે, અતિશય
રક્તસ્ત્રાવ, જે અંગ પર દંશ થયો હોય તેના પર અતિ સોજો આવી
જાય છે અને માંસ મજ્જા ફાટી જાય તેટલી હદે અંગ ફૂલી જઈને શરીરને અકલ્પનીય નુકસાન
પહોંચાડે છે. કર્ડીઓટોક્સિક વિષની વાત કરીએ તો ભારતના નાગ અને કાળોતરના વિષમાં હૃદયને નુકસાન
કરતા કાર્ડિયોટોક્સિક્સ હોય છે, પરંતુ તેની વધુ માત્રા અમેરિકાના મોહેવ રેટલ સ્નેક્સ અને
અન્ય રેટલ સ્નેક્સમાં જોવા મળે છે.
આ ઉપરાંત સમુદ્રોમાં વસતાં દરિયાઈ
સર્પો આ દૂનિયાના સૌથી વધારે ઝેરી સર્પો ગણાય છે. તેમનું વિષ વિશ્વના કોઈ પણ
સર્પની સરખામણીએ સૌથી ઝડપથી અસર કરતું વિષ મનાય છે. દરિયાના તમામ સર્પો પૃથ્વી
પરના નાગ અને કાળોતરાના પિતરાઈ ભાઈઓ એટલે કે એ જ ફેમીલીના હોવાના નાંતે તેમનું વિષ
પણ ન્યુરોટોક્સિક હોય છે. આ સર્પોમાં વિષનું પ્રમાણ ખુબ ઓછું પણ અત્યંત ઘાતક હોય
છે. અને દરિયાઈ સર્પો સ્વભાવે શાંત હોવાથી મ મનુષ્યોને કરડતા નથી અને કદાચ તેથી જ
તેના વિષ માટેની વિષ વિરોધી રસી શોધાઈ નથી આજદિન સુધી.
મજાની વાત એ છે કે આધુનિક
વિજ્ઞાનમાં સર્પના વિષનો તોડ ભલે છેલ્લા ચાર પાંચ દશકોમાં શોધાયો હોય, પરંતુ અથર્વવેદમાં સર્પના વિષના
મારણ તરીકે એક શ્લોક છે જેના ઉચ્ચારણથી સર્પનું વિષ ઉતારી શકાય એવી માન્યતા છે. એ
જ રીતે મનુ-સ્મૃતિમાં મંત્રોચ્ચારથી, આયુર્વેદ અને ચરકસંહિતા જેવા ગ્રંથોમાં સર્પના વિષના સચોટ વર્ણનો
અને તેના મારણના ઔષધિય ઉપચારો પણ વર્ણવાયા છે. પરંતુ તત્કાલિન માનવ શરીરની રચનામાં
પણ સદીઓપરાંત પરિવર્તનો આવ્યા છે, અને તે જ રીતે એ જ સદીઓ દરમિયાન સર્પોના વિષના ઘટકોમાં પણ
પરિવર્તન આવ્યા હોવાથી આ વિષની મારકતા માટે આજે આધુનિક વૈજ્ઞાન દ્વરા શોધાયેલી
ઉપચાર પધ્ધતિઓ અપનાવવી જરૂરી બની જાય છે.
- vichar_valonu@yahoo.com

Nice....information....ઘણા સવાલો ના જવાબ મળ્યા સર્પો બાબતમાં વાચકને પણ જ્ઞાન મળતું થયું...મારા જેવા જિજ્ઞાસા ને ગર્વ અનુભવાય. ...એક ચોકકસ પ્રમાણ માં જાગૃતિ જરૂર આવશે...
ReplyDeleteGood information for us
ReplyDelete