" સાપ કાંચળી છોડે છે શા માટે ? લોકોને પૂજા કરવા માટે, લોકોના કલ્યાણ માટે ?"
મારા એક ગુરૂ છે, અને તેઓ બહુ જાણકાર છે. તેમણે કહ્યું છે કે “તારી શક્તિઓ મુજબ તને સફળતા મળતી નથી, તો જો તું સાચા નાગની કાંચળી મેળવીને પૂજામાં રાખી રોજ તેની પૂજા કરીશ તો સફળતા તારા કદમ ચૂમશે !”
================================================================
માનવ એક એવું પ્રાણી છે જે ભલે બીજા પ્રાણીઓ કરતાં 'સ્વ' સાથે વધારે જોડાયેલું રહેતું હોય છે, તેમ છતાં 'સ્વ'નું મૂલ્ય
કરવામાં તેના પ્રત્યેનો પોતાનો અહોભાવ વ્યક્ત કરવાનું ચૂકી જાય છે. કારણ મને લાગે
છે ત્યાં સુધી 'સ્વ'ને માનવીએ અહમ્
કરવાનું એક માધ્યમ માત્ર માની લીધું છે. બાળક તરીકે દરેક જીવમાં વિસ્મય અને
કુતૂહલનું જે એક અદ્દ્ભુત તત્વ હોય છે, તે તત્વ વિકાસ પામતા
મગજ અને તેની અંદર થતા કેમિકલ લોચાના વિકાસ એટલે કે સ્વતંત્ર તર્કના ઉદ્દ્ભવ સાથે
આ વિસ્મય અને કુતૂહલ ક્ષીણ થતું જાય છે.
આપણા
ધર્મ અને અધ્યાત્મમાં ભલે શરીરના સ્તરથી ઉપર ઊઠીને અલૌકિક અનુભૂતિઓ તરફ ગતિ કરવાની
વાત થતી હોય, પરંતુ એક ચોક્કસ સ્તર સુધી શરીરનું પોતાનું
મહત્ત્વ હોય છે અને હોવું પણ જોઈએ. આપણે ત્યાં જ્યારે કોઈ નવતર મશીન કે મીકેનિઝમ
શોધી કાઢે તો તેના પર અને તેના સંશોધક પર ઓવારી જઈએ છીએ, પરંતુ
અતિ મહત્ત્વની બાબત ભૂલી જઈએ છીએ, કે આપણું પોતાનું અને આ
પૃથ્વી પર વસતા દરેક જીવંત અસ્તિત્વના શરીર અને તેની રચના પોતે એક અદ્દ્ભુત
મીકેનિઝમ અથવા એક અદ્દ્ભુત યંત્ર હોય છે, જેના રચયિતાને કોઈ
ઈશ્વર, કોઈ અલ્લાહ, કોઈ જીસસ તરીકે અને
કોઇ તેને કુદરત તરીકે પણ ઓળખાવે છે. એક વાર આપણે આપણા શરીરની રચના અને તેની જટિલતા
અંગે ગંભીરતાથી વિચારીશું તો ખરેખર કુદરતના આ કરિશ્મા અંગે બાળ સહજ આશ્ચર્ય,
કુતૂહલ અને અહોભાવ જરૂર જન્મશે. પણ . . . આજે પણ આપણે વાત ભલે માનવ
શરીરથી શરૂ કરી રહ્યા હોઈએ, પરંતુ હકીકતે વાત તો સર્પોને વધુ
બારીકીથી, વધુ નજીકથી ઓળખવાની જ કરવાની છે. પરંતુ સર્પના
સમગ્ર શરીર, તેની રચના, બારીકીઓ અને જટિલતા
અંગે વાત કરવા બેસીએ તો કદાચ એક પુસ્તક આખું લખાય, તેથી આજે
સર્પના જીવન અને શરીરમાં ખૂબ મહત્ત્વના એક સાવ અનોખા અને છતાં સાવ સામાન્ય પાસા
અંગે વાત કરવાની છે. થયું જાણે એવું કે
એક વાર મારા મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો, સામેથી પરિચય અપાયો, કે હું ગાંધીનગરનો ફલાણી ઢીકણી વ્યક્તિ બોલું છું.
નામ તો ગાંધીનગર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં વિખ્યાત હતું. તેઓ જાણીતા કોરીયોગ્રાફર છે, ઢોલીવુડ કોરીયોગ્રાફી કરી ચૂક્યા
છે અને હાલ બોલીવુડમાં એક મોટા કોરીયોગ્રાફરને આસીસ્ટ કરી રહ્યા છે. ઔપચારિક વાતો બાદ તેઓ મૂળ મુદ્દા પર આવ્યા અને કહે
“ધર્મેન્દ્રભાઈ, આપનું એક કામ છે અને તમારા સિવાય
કોઈથી થાય તેમ નથી !” મેં કહ્યું કહો, ત્યારે એમણે કહ્યું કે મારે ઓરીજીનલ નાગની એક આખી કાંચળી
જોઈએ છે”. મેં પૂછ્યું કે શા માટે, તો એમણે જણાવ્યું કે ‘મારા એક ગુરૂ છે, અને તેઓ બહુ જાણકાર છે. તેમણે કહ્યું છે કે “તારી શક્તિઓ મુજબ તને સફળતા મળતી
નથી, તો જો તું સાચા નાગની કાંચળી
મેળવીને પૂજામાં રાખી રોજ તેની પૂજા કરીશ તો સફળતા તારા કદમ ચૂમશે !” મેં એમને
કહ્યું ભલે . . . જો કોઈ મળી આવશે તો તમને જણાવીશ. એ વખતે તેઓ મુંબઈ પહોંચ્યા
નહોતા. થોડા વખત બાદ હું એક નાગને છોડવા છેવાડાના કોતરોમાં ગયેલો, અને મને ત્યાં એક મોટી ધામણની આખી
કાંચળી મળી ગઈ. મેં એમને એ કાંચળી સાચા નાગની છે એવું કહીને આપી દીધી. ત્યારબાદના
થોડા માસ પછી એમનો ફોન આવ્યો કે . . . "સાહેબ, તમારો આભાર માનું એટલો ઓછો છે, મને મુંબઈના એક મોટા કોરીયોગ્રાફરે
તેમની સાથે કામ કરવા બોલાવ્યો છે! આ બધું કાંચળીના પૂણ્ય પ્રતાપે થયું છે”. તેઓ
મુંબઈ ગયા એ પહેલાં મને મળવા આવ્યા ત્યારે મેં તેમને જણાવ્યું કે મેં આપેલી કાંચળી
સાચા નાગની નહોતી, અને એક સાદા સાપ ધામણની હતી. તમે પસંદ થયા તેની પાછળ કાંચળીનો નહીં, પરંતુ તમારી શ્રદ્ધા, મહેનત અને કળા કામ આવી છે. તેઓ
હતપ્રભ રહી ગયેલા !
વેદો, પુરાણો અને અનેક કર્મકાંડના ગ્રંથોમાં “નાગ”ની કાંચળી, તેની દિવ્યતા અને ચમત્કારિતા અંગે ઉલ્લેખો અને
ઉદાહરણો મળી આવશે. તો હકીકતે સાપની કાંચળી છે શું, અને તે બને છે કેવી રીતે તે જાણવું ખૂબ રસપ્રદ રહેશે.
હકીકતે સાપની કાંચળી તેની ચાર પડની બનેલી ત્વચાના માળખાનું સૌથી બહારનું પડ છે
જેને આપણે ભીંગડા કહીએ છીએ. સાપની ચામડીનો આ બાહ્ય ભાગ મનુષ્યના નખ જેમાંથી બને છે
તે કેરેટીન નામના તત્વનો બનેલો હોય છે. સર્પને પોતાના જન્મથી લઈને મૃત્યુ સુધી શિકાર
કરવા, શિકારીથી બચવા અને કોઈકથી છુપાવા માટે પેટે ઘસડાઈને ચાલવા, દોડવાનું હોય છે. તેથી તેના અંદરના
કોમળ ભાગોને ઈજા થતી બચાવવા માટે કુદરતે તેમને આ કેરેટીન નામના તત્વનું બહુ મજબૂત
પડળ આપ્યું છે. તો હવે પ્રશ્ન એ છે કે સાપ કાંચળી છોડે છે શા માટે ? લોકોને પૂજા કરવા માટે, લોકોના કલ્યાણ માટે? ના બિલકુલ એવું નથી. સાપની કાંચળી
છોડવા પાછળનું રહસ્ય સીધું સાદું શરીર વિજ્ઞાન માત્ર છે.
માદા સર્પના ગર્ભધારણ બાદ ઈંડુ બને, આ ઈંડાને તે યોગ્ય સમયે યોગ્ય અને સલામત જગ્યાએ મૂકી દે અને
આ ઈંડાને કુદરતી રીતે યોગ્ય ઉષ્મા અને ભેજનું પ્રમાણ મળી રહે એટલે ઈંડાના ભૃણમાં
જીવનો સંચાર થાય. ત્યાર બાદ ઈંડામાં દરેક પ્રજાતિ અનુસાર તે ભૃણ અલગ અલગ કદમાં
વિકસ્યા કરે. સમય જતાં ઈંડામાંથી જ્યારે બચ્ચું બહાર આવે ત્યારે તેનું શરીર
સંપૂર્ણ રીતે ઘડાઈ ગયું હોય. સર્પના શરીરની બહારનું ચોથું પડ જે કેરેટીનનું બનેલું
હોય છે. તેની વિશેષતા અથવા ખામી કહો તો ખામી એ છે કે આપણા નખ જેમ વૃદ્ધિ પામે છે
તે રીતે કેરેટીનનું બનેલું સાપનું આ બાહ્ય કવચ વિકસતું નથી, જ્યારે સાપ બાળ અવસ્થામાં વિકાસ
પામવા મટે અતિશય ખોરાક લેતો હોવાથી તેનું શરીર સતત વિકાસ કર્યા કરે છે, જ્યારે સામે પક્ષે તેની ચામડીનું
બાહ્ય આ કવચ વૃદ્ધિ પામતું ન હોવાથી એક સમયે શરીર માટે જ્યારે આ કવચ નાનું પડવા
લાગે ત્યારે, આ કવચની અંદર એક બીજું નવું કવચ વિકસે છે. એ નવું કવચ જ્યારે સંપૂર્ણ વિકસી
જાય ત્યારે જૂનુ કવચ આપણે જેને કાંચળી તરીકે ઓળખીએ છીએ તે સ્વરૂપે શરીરથી અલગ પડી
જાય છે અને સાપ તેને કાઢી નાખે છે. આમ આપણે સાપની મૃત ત્વચાના આવરણને પૂજવા જેટલા
અંધશ્રદ્ધાળુ સાબિત થઈએ છીએ.
બાલ્ય અવસ્થામાં સર્પના શરીરનો વિકાસ ખૂબ ઝડપી હોવાથી લગભગ દર પંદર દિવસે તે
કાંચળી છોડે, જેમ જેમ શરીરના વિકાસની ગતિ ધીમી પડતી ચાલે તેમ તેમ એ સમયગાળો પણ લંબાતો જાય.
સર્પના આનુવાંશિક વારસા મુજબ તે જ્યારે તેની સંપર્ણ લંબાઈ પર પહોંચી જાય ત્યારે તે
અંદાજે દરેક ચાર મહિને કાંચળી છોડે. એક બીજી રસપ્રદ હકીકત એ પણ છે કે મૃત કાંચળીને
નવી કાંચળીથી અલગ પાડવા માટે સર્પ પોતાની નવી ચામડીમાંથી એક એવું ચીકણું દ્રવ્ય
છોડે જેના કારણે મૃત કાંચળી પોચી પડી જાય અને સહેલાઈથી તેને ઉતારી શકાય. સર્પ
કાંચળી છોડવાના પહેલાંથી તેની દૃષ્ટિ ઝાંખી પડી જાય, શિકાર કરવાનું બંધ કરી દે છે અને જ્યારે કાંચળી છોડે
ત્યારે ખૂબ તકલીફમાં હોય તેવું જણાય છે.
આમ, કાંચળી અને તેના સાવ સામાન્ય રહસ્યને જાણ્યા બાદ તેની પૂજા કરવાની જે ભાવના છે
તે ઓગળી ન જાય તો જ નવાઈ. આયુર્વેદમાં વૈદ્યકીય અનેક ઉપચારોમાં પણ સાપની કાંચળીના
ઉપયોગના રેફરન્સ જોવા મળે છે અને તેમાંથી મોટે ભાગે તો ચામડીના રોગો માટે જ દેખાય
છે. એક રીતે સાપને ઇંડામાંથી જન્મતો હોવાના કારણે દ્વિજ માનીએ છીએ, પરંતુ હકીકતને લક્ષ્યમાં રાખીએ તો
વિદેશની લોકવાયકાની જેમ ફિનીક્સ પંખી જેમ રાખમાંથી બેઠું થાય તેમ સર્પ એક જ જન્મ
દરમિયાન અનેકવાર પુન:જન્મ ધારણ કરે છે એવું ચોક્કસ કહી શકાય. આવતે વખતે સર્પની આવી
જ બીજી કોઈ સામાન્ય બાબત અંગે ચર્ચા કરીશું જે સર્પને અસામાન્ય પુરવાર કરશે.
- vichar_valonu@yahoo.com

Comments
Post a Comment