ગીતામાંના આહાર
વિજ્ઞાનથી લઈને સર્પોની
આહાર વ્યવસ્થા અને તેના અવનવા પ્રકાર તરફ એક દૃષ્ટિપાત.
આપણે જ્યારે કોઈ પણ વસ્તુને તેના અલગ અલગ અર્થોમાં સમજવા પ્રયત્નશીલ બનીએ છીએ
ત્યારે, તે વસ્તુ કે જીવ અંગે આપણે જાગૃત બનીએ છીએ
અને તેને આદર આપતા થઈએ છીએ.
મૂળભૂત રીતે કોઈ પણ જીવ માટે આહાર એ શરીરને ચાલતું રાખવા
જરૂરી ઊર્જાનું માધ્યમ છે. પરંતુ પૃથ્વી પરના અન્ય પ્રાણીઓથી અલગ પડીને માનવના ક્રમિક
વિકાસ અને ત્યાર બાદ પ્રજ્ઞાના વિકાસની તથા માનવ સંસ્કૃતિના વિકાસની સાથે સાથે, આહાર એ માત્ર પોષણ અને જરૂરિયાત ન બની રહેતાં,
તેણે એક આખા વિજ્ઞાનને જન્મ આપેલો. પાષાણ યુગમાં શિકાર
કરીને ખવાતા કાચા માંસના સ્થાને અગ્નિનો ઉપયોગ કરીને તેને પકાવીને ખાવાની શરૂઆત
થઈ. પકાવેલા માંસને પચાવવું સહેલું થયું તથા તેના સ્વાદનો ફર્ક પણ માનવને આકર્ષવા
લાગેલો. કાચા માંસથી શરૂ થયેલું આહાર ચક્ર આજે રાંધવાની કળા બની છપ્પન ભોગ અને
બત્રીસ પકવાન સુધી પહોંચી છે. ભારતીય સંસ્કૃતિમાં છેક કૃષ્ણ કાળથી ભોજનનું
વૈજ્ઞાનિક મહત્વ અને વિશ્લેષણ મળી આવે છે.
હિંદુધર્મના સૌથી
વધુ પૂજનીય અને આસ્થાના કેન્દ્રમાં ભગવદ ગીતા છે.
શ્રી કૃષ્ણના મુખેથી સ્ખલિત થયેલી ગીતા તત્કાલિન સંદર્ભે માત્ર અર્જુનને ઉદ્દેશીને
ભલે કહેવાઈ હોય, પરંતુ
તેમાં છુપાયેલો સંદેશ આજે પણ એટલા જ પ્રસ્તુત છે. આપણે ભલે દાવો કરતાં હોઈએ કે
દરેક હિન્દુએ ગીતાનું વાંચંન કરવું જોઈએ, પરંતુ હકીકતે કેટલા હિન્દુઓએ ગીતાજીનું વાંચન કર્યું છે? કેટલાએ તેના અર્થો સમજવા પ્રયત્ન કર્યા છે? આપણે
બધાં એવું માની બેઠા છીએ કે ગીતાજી એટલે એક આધ્યાત્મિક અને તત્વજ્ઞાનનો ગ્રંથ છે
જે જીવનની ફિલસૂફી આપે છે, પરંતુ સાવ એવું પણ નથી. ગીતામાં
ધરતી પરના પામર માનવ જીવનના અનેકવિધ પાસાઓ પણ આવરી લેવાયા છે અને તેના પર એક સાવ
અનોખા વૈજ્ઞાનિક અભિગમ સાથે નક્કર વાતો પણ જોવા મળે છે. અને કદાચ એટલે જ ગીતામાં
ધર્મના આચરણની વાતો ઉપરાંત જીવન જીવવાની કળા અને બીજી અનેક ગુઢ વાતો પણ જાણવા મળે
છે. આજના વિષય “ભોજન” જેવી સ્થૂળ બાબતનો પણ ગીતાજીમાં સુંદર રીતે સમાવેશ થયેલો છે.
ગીતાજીમાં શ્રી
કૃષ્ણ કહે છે કે સર્વ પ્રાણીના શરીરમાં રહેલ વાયુ અને અપાન વાયુથી ઉત્પન્ન થતાં
વૈશ્વાનર અગ્નિના રૂપમાં પરમેશ્વર પોતે છે, અને તે નીચે દર્શાવેલા ચાર સ્વરૂપોમાં આહારને પચાવે છે.
ભક્ષ્ય : ચાવવું પડે તેવા
ભોજનને ભક્ષ્ય કહેવામાં આવે છે. જેમ કે રોટલા, રોટલી, મીઠાઈ,
ફળો વિગેરે.
ભોજ્ય : પ્રવાહી સ્વરુપે
લેવાતા ભોજનને ભોજ્ય કહે છે, જેમાં દુધ, દહીં,
ફળોનો રાસ વિગેરે પ્રવાહી ખાદ્ય પદાર્થો છે.
લેહ્ય : લેહ્ય એટલે
ચાટીને ખવાતો આહાર, જેમાં ચટણી તથા તેના જેવા ભોજનની સાથે લેવાતા સ્વાદવર્ધક
આહારોનો સમાવેશ થાય છે.
ચૌષ્ય : આમાં ચૂસીને
ખવાતા મહદંશે શેરડી, સંતરા, કેરી
અને મોસંબી જેવા ફળોનો સમાવેશ થાય છે.
વાંચક મિત્રોને
એવું લાગશે કે વિચાર વલોણું સતત સવા-દોઢ મહિનાથી સર્પો અંગે વાતો કરતા કરતાં અચાનક શ્રી કૃષ્ણ, તેમના કાવ્યાત્મક
સર્જન ગીતાજી અને ભોજન ફિલસૂફી તરફ ક્યાં ફર્યું, પણ મિત્રો આજે પણ વાત તો સર્પો અંગે જ કરવી છે, પરંતુ આજે તેમની આહાર પદ્ધતિના વિવિધ પાસાઓ તરફ એક દૃષ્ટિપાત કરીશું, ત્યારે સમજમાં આવશે કે સર્પ એક એવો જીવ છે જેની આખી જીવન પદ્ધતિ જ
રહસ્યમય છે. આપણે સ્વ-અર્થ માટે જરૂરી હોય તો અથવા જે તે વિષયને સમજવાની જરૂર જણાય
ત્યારે જ એવો પ્રયત્ન કરીએ છીએ. અને આવા કારણોસર જ આપણે સર્પ અંગે કદી વધુ
વિચાર્યું નથી. આપણું આ અજ્ઞાન અથવા બેદરકારીએ જ આપણને તેનાથી હંમેશા દૂર અને ડરતા
રાખ્યા, જે તેની અવગણના અને ધિક્કારનું મુખ્ય કારણ બન્યું.
આપણે જ્યારે કોઈ પણ વસ્તુને તેના અલગ અલગ અર્થોમાં સમજવા પ્રયતનશીલ બનીએ છીએ
ત્યારે તે વસ્તુ કે જીવ અંગે આપણે જાગૃત બનીએ છીએ અને તેને આદર આપતા થઈએ છીએ. આજે
આપણે સર્પોની વિવિધ પ્રકારની આહાર પદ્ધતિ અંગે વાત કરવી છે.
સર્પ એક અનોખો અને રહસ્યમય જીવ છે. તેનું શરીર જેટલું
ડરામણું અને ભય પેદા કરે તેવું છે તેટલી જ ખામીઓ પણ કુદરતે તેને અન્ય જીવોની
સરખામણીએ આપી છે. ખાલી એક ક્ષણ કલ્પના કરો
કે તમારે બે હાથ અને બે પગ નથી, માત્ર એક નળી જેવા શરીરના આધારે તમારી
જીવનની તમામ જરૂરિયાતો પૂરી કરવાની છે . . . આ કલ્પના માત્ર આપણને સર્પોની અઘરી
જીવન પદ્ધતિ અને પારાવાર મુશ્કેલીઓની પ્રતીતિ કરાવશે. દરેક જીવની માફક સર્પોને પણ આહાર
અને જળની જરૂર પડે જ છે. ફર્ક માત્ર એટલો છે કે તેને અંગોના
અભાવે શિકાર કરવો તેમના માટે અત્યંત કઠિન
હોય છે. દરેક સર્પ મૂળભૂત રીતે માંસાહારી હોય છે. દરેક સર્પોનો આહાર તે કેવા
પ્રકારના વાતાવરણ અને ભૌગોલિક પરિસ્થિતિમાં રહે છે તેના પર હોય છે.
આગળ જણાવ્યું તે સર્પ ઈંડામાંથી
જન્મે ત્યરથી જ સંપૂર્ણપણે માંસાહારી છે. સર્પો પોતાના કદ, જાતિ અને આસપાસના પર્યાવરણમાં સહજ
રીતે મળી આવતા જીવોનું મારણ કરે છે. પરંતુ સૌથી મહત્ત્વની બાબત હોય તો તે એ છે કે
સર્પો કરોડો વર્ષોની પોતાની યાત્રા દરમિયાન પોતાના કદ, ઝડપ અને વાતાવરણ મુજબ પોતાનો શિકાર
કરતાં શીખી ગયાં છે. તેમના શિકાર ની
પદ્ધતિમાં મહદ્દંશે સારી એવી ઝડપ ધરાવતા સર્પો શિકારને સુગંધના આધારે પાછળ પડી, પકડીને તેને જીવતો જ ગળી જાય છે. અમુક
સર્પો જેઓના શરીર થોડા ભારે હોય છે અને ઝડપથી દોડી શકતાં નથી તેવા સર્પો પોતાના
શિકારને જકડી, ભરડામાં
લઈને તેનો શ્વાસ રુંધીને મૃત્યુ પામે ત્યારે તેને ગળી જાય છે. અમુક સર્પો જેઓ પાસે
ન તો ઝડપ છે, કે ન તો
ભરડો લેવાનું સ્નાયુ બળ, તેવા સર્પોએ કાળક્રમે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પોતાના
શરીરમાં એવા કાતીલ ઝેર વિકસાવ્યા જેના ઉપયોગથી પોતાના શિકારને મારી નાખી અને ગળી
જઈ શકાય. આ ત્રણેક પ્રકારના સર્પો સિવાય અમુક સર્પોની જાતિ એવી છે જેમનો મુખ્ય આહાર
માત્ર નાના પક્ષીઓ અને તેના ઈંડા છે. આ ઈંડા ખાઉ સર્પો બહુ શરમાળ હોવાથી તેમની
હયાતી અંગે પણ શંકા ઉદ્દ્ભવતી હોય છે.
આપણે આજે વાત કરીએ ગુજરાતના મુખ્ય
અને જાણીતા સર્પોની અને તેમના આહાર અને શિકાર કરવાની પદ્ધતિ અંગે. ગુજરાતના ચાર
મુખ્ય ઝેરી સર્પોમાંનો કોબ્રા (નાગ). નાગનો પસંદગીનો ખોરાક છે ઉંદરો, દેડકાં, અન્ય નાના કદના સર્પો. નાગ પોતાના
શિકારને નજીક અવવા દઈને અથવા ચોરી છૂપી શિકારની નજીક પહોંચી જઈને તેને દંશ આપી
તેના શરીરમાં ઝેર નાખીને શિકારને છોડી દે છે. આ શિકાર થોડા સમયમાં જ ઝેરની અસરથી
પેરેલાઈઝ થઈને મૃત્યુ પામે અને નાગ તેની ગંધ સૂંઘતો સૂંઘતો પહોંચી જાય અને શિકારને
ગળી જાય છે. બીજો સર્પ છે કોમન ઈન્ડિયન ક્રેટ (કાળોતરો) જેની શિકાર પદ્ધતિ નાગ
જેવી જ છે, પરંતુ તેનો
પસંદગીનો આહાર છે પોતાના કદના અથવા થોડા નાના કદના કોઈ પણ જાતિના બીજા સર્પ.
કાળોતરાને જ્યાં સુધી બીજા સર્પ મળે ત્યાં સુધી તે બીજો શિકાર કરતો નથી. સર્પોની
દુનિયામાં કાળોતરો એવો સાપ છે જે સૌથી વધારે સ્વજાતિ-ભક્ષણ કરે છે. મતલબ કે પોતની
જાતિના સાપોને પણ ખાઈ જાય છે. બાકી રહ્યા બે વાઈપર, એક છે સોસ્કેલ્ડ વાઈપર અને બીજો છે
રસેલ્સ વાઈપર. આ બન્ને વાઈપરમાંનો ખડચીતળાનો આહાર મોટા કદના ઉંદર, દેડકાં અને તેઓ પોતાના કદ કરતાં
નાના નાગ જેવા બીજા સર્પોને પણ ખાતો જોવા મળ્યો છે. સો સ્કેલ્ડ વાઈપર એટલે કે
પૈડકુ, પૈડ મધ્યમ
શુષ્ક અને અતિ શુષ્ક એવા રેતાળ વિસ્તારોમાં રહેતો હોવાથી તેમની આસપાસના ઝાડી
ઝાંખરામાં અને રણમાં વસતી ગરોળીઓની વિવિધ જાતો તેનો મુખ્ય આહાર હોય છે.
હવે થોડી સર્પોની અન્ય બિનઝેરી
જાતિઓના ખોરાક અંગે પણ જાણીએ. ધામણનો મુખ્ય આહાર ઉંદર દેડકાં છે. આંધળી ચાકળણ એટલે
કે બંબોઈ ઉંદર, દેડકાં
ઉપરાંત નાના પંખીઓ પણ પોતાનો શિકાર બનાવતી જોવા મળી છે. વુલ્ફ સ્નેક ઘરોની અંદર
અને આસપાસ વસે છે અને નાના જીવડાં, ગરોળીઓ તેનો મુખ્ય આહાર છે. બ્રોન્ઝબેક્ડ ટ્રી સ્નેક અથવા
તણસ અને કેટ સ્નેક વૃક્ષો પર રહે છે અને નાના પંખીઓના ઈંડા, ગરોળીઓ તેનો મુખ્ય આહાર છે. મીઠા
પાણીના સર્પ એટલે કે ચેકર્ડ કીલબેક અથવા પાણીનું ડેંડુ, જેનો મુખ્ય આહાર માછલીઓ અને દેડકાં
છે. આ સાપે પાણીમાંથી માછલીઓનો શિકાર કરવામાં
મહારથ હાંસલ કરી છે.
સર્પની એક પ્રજાતિ એવી છે જેના
અંગે ખાસ વાત કરવી છે. “ઈન્ડિયન એગ ઈટર” એટલે કે ઈંડાખાઉ સાપ. આ સાપનો મુખ્ય આહાર
જ નાના પંખીઓના ઈંડા છે. આ સર્પ એટલો તો શરમાળ છે કે દિવસે જવલ્લે જ જોવા મળે છે
અને ગુજરાતમાં તેની ઘણા જિલાઓમાં સારી એવી વસતી હોવા છતાં તેમની હયાતી અંગે
સર્પવિદો થોડા વર્ષો પૂર્વે સુધી દ્વિધામાં જ હતાં. પરંતુ તાજેતરમાં જ સૌરાષ્ટ્રના
અનેક વિસ્તારોમાંથી તેમની હાજરી રેકોર્ડ પર આવી છે. આપણે સૌએ વોટ્સેપ પર એક વિડીયો
જોયો જ હશે. એક સર્પ ઈંડુ ગળી જાય અને થોડી વાર બાદ ઈંડાનો અંદરનો રસ ગળી જઈને
કેરીના ચુસાઈ ગયેલા છોતરા જેવું ઈંડાનું કોચલું ઓકી કાઢે. તેમના ગળામાં એક હાડકું
હોય છે જેનાથી ઈંડાખાઉ સાપ ગળેલા ઇંડામાં કાણુ પાડે, અને તેની લાળમાં રહેલા એન્ઝાઈમ્સ
ઈંડાના કડક કોચલાને નરમ બનાવી દે છે, જેથી ઈંડાની જર્દી ગળી જઈ શકાય. આ દુર્લભ સાપનો ફોટો આજે આપ
સૌને જોવા માટે મૂક્યો છે.
અંતે સર્પોની એક એવી નિરાળી જાતિ
અને તેની આહાર પ્રક્રિયા અંગે વાત કરીને વાત પૂરી કરીએ, જે અચરજ પમાડ તેવી છે. હાથ પગના
અભાવે દરેક ભૂચર સર્પોએ પોતાની ઊર્જાની જરૂરિયાત એવા આહારની આગવી પદ્ધતિ શોધી કાઢી
છે, તો કેટલીક જાતિઓ વિવિધ કારણોસર દરિયામાં
વસી જઈને જળચર બની તેમની આહાર પદ્ધતિ અનોખી છે. કુલ ૬૦ જાતિના તમામ દરિયાઈ સર્પોનો
આહાર દરિયાઈ માછલીઓ અને અન્ય જીવો છે. આ દરિયાઈ સાપો મૂળ તો જમીન પરના નાગ એટલે કે
કોબ્રાના સગા-સંબંધીઓ છે, અને શિકારને દંશ દઈને તેને પેરેલાઈઝ કરીને તેનો આહાર કરે છે, પરંતુ પ્રશ્ન એ થાય કે નાગની જેમ
પોતાના શિકારને દંશ આપીને જો છોડી દે તો દરિયામાં શિકારની ગંધનો પીછો કરીને શી
રીતે શોધી શકાય ? માછલી તો ક્યાંયની
ક્યાંય ભાગી જાય અને છુપાઈ જાય અને પણીમાં તેની ગંધ મેળવવી પણ મુશ્કેલ બની જાય.
તેથી આ સર્પોએ દરિયાના પોતાના શિકારોને તત્ક્ષણ પેરેલાઈઝ કરી નાખે તેવું ઝેર
વિકસાવ્યું, જેથી દંશ
થતાંની સેકંડોમાં જ શિકાર બેહોશ થઈ જાય અને તેને ગળી જઈ શકાય !
કુદરતના કરિશ્મા જેવા સર્પોના
દૈનિક જીવનનું માત્ર આ એક જ પાસું આપણને અચરજ પમાડતું હોય તો એવા તો અનેક પાસા છે
જે અંગે જ્યારે જાણીશું ત્યારે કુદરતની લીલા અંગે અહોભાવ જન્મશે.
અસ્તુ.
- vichar_valonu@yahoo.com
One more nicely written episode. Thank you.. loving it....🙏🙏
ReplyDeleteThanks a Lot Sandipbhai . . .
DeleteAmazing article... Even though being the same reptiles, different types of snakes have different ways and tricks to feed themselves...
ReplyDeleteGreat going sir... Enjoying this journey...
Thanks a Lot . . .
Delete