આ ડૉક્ટરો ય મૂરખા છે, ખાલી મારું લોહી ચડાવી દે એક બોટલ તોય તારું સાપનું ઝેર ઉતરી જાશે.
આ ડૉક્ટરો ય મૂરખા છે, ખાલી મારું લોહી ચડાવી દે એક બોટલ તોય તારું સાપનું ઝેર ઉતરી જાશે.
કહેવાય છે કે મૂર્ખ મિત્ર કરતાં દાનો દુ:શ્મન સારો. જ્યારે જીવ જોખમમાં હોય
ત્યારે એક ખોટી કે સાચી સલાહ જીવન મરણ વચ્ચેનો ભેદ મિટાવી શકે છે.
ગાંધીનગરમાં વર્ષો સુધી એકલા
હાથે સર્પ-બચાવનું કામ કર્યા બાદ એક-દા વિચાર આવ્યો કે હું તો આ કામ કરું છું, પણ કોઇ એવો સમય આવે કે હું ગાંધીનગરમાં ન
હોઉં અથવા હયાત પણ ન હોઉં અને કોઈને જરૂર પડે સર્પને બચાવવાની તો શું ? ત્યારે વિચાર આવેલો કે એક બીજી પંક્તિ એટલે કે સેકન્ડ લાઈન તો તૈયાર થવી
જોઈએ. પણ આવા એરુ પકડવાના કામમાં મરજીથી કોઈ જોડાય ખરું ? મનની
મથામણના અંતે એક દિવસ સાપના કોઈ કિસ્સાની છાપામાં સ્ટોરીની પત્રકારને બાઈટ આપતી
વખતે એક વાક્ય એ પણ બોલી નાખેલું કે “ગાંધીનગરના કોઈ યુવાનો જો શીખવા માંગતા હોય
તો તેમનું સ્વાગત છે”. અને મારા આશ્ચર્ય વચ્ચે થોડા યુવાનો આગળ આવ્યા. પ્રથમ હરોળ
તૈયાર તો થઈ પણ એમાંના એક બે ને છોડતાં કોઈ આ પ્રવૃત્તિમાં લાંબુ ટક્યા નહીં. તેથી
બીજો લોટ હાથ પર લીધો અને તેમાંથી સર્જાયું હાલનું “સ્નેક લવર્સ ક્લબ”નું
પ્રવર્તમાન જૂથ. આ જૂથના યુવાનો આજે પણ સક્રિય રીતે સર્પ-બચાવ કરી રહ્યા છે.
આ જૂથ બરોબર કામ
કરી રહેલું અને એકાએક મને એક નાગનો દંશ થયો. હું પાંચેક દિવસ હોસ્પિટલાઈઝ થયેલો. આ
આખું ગૃપ રાત-દિવસ જોયા વગર એક ફેમીલીની જેમ સતત મારી સાથે જ હોસ્પિટલમાં જ રહ્યું. ત્યારથી એક રિવાજ પડી ગયો કે ગૃપમાંથી કોઈને પણ ઝેરી
સર્પનો દંશ થાય તો આખા ગૃપે સતત હોસ્પિટલ હાજર રહેવું અને મત્ર અમારા ગૃપનાને જ
નહીં, પરંતુ અન્ય સર્પ બચાવ કરનારને થાય તો પણ
અમે સૌ હાજર રહીને આ ઘટનાને ઉત્સવ બનાવી દેતાં. એક દિવસ અમારા ગૃપના સૌથી ચપળ અને
હોશિયાર એવા કૌશલ સાધુને સર્પદંશ થયો. બપોર પછીથી અમે સૌ હોસ્પિટલે કૌશલની આસપાસ
રક્ષા કવચ બનાવીને બેઠેલા. મોડી રાત્રે બધા કહે “ધમભા, તમે
ઉપડો ઘરે, અમે છીએ ને . . .” મને ખબર હતી કે આ જુવાનિયાઓને
મારી હાજરીના કારણે મર્યાદામાં રહેવું પડે છે એટલે મને કાઢવા માંગે છે! અને એ જ
કારણે હું જતો પણ રહ્યો ઘરે. ભલે મજા કરતા.
બીજા દિવસે સવારે
ઓફિસ જતી વખતે દવાખાને થઈને જવા નીકળ્યો. કૌશલના બેડ સામે ગાંધીનગરના એક સૌથી જૂના
કહેવાતા સર્પવિદ ઉભેલાં. અને તેની આસપાસ મારા ગૃપના જુવાનિયા એની વાતો મજેથી
સાંભળતા હતા. તેઓને ખબર પડી કે કૌશલને સર્પદંશ થયો છે એટલે તેની ખબર પૂછવા આવેલા. હું
તેમની પાછળ તેમને ગંધ ન આવે તેમ ઊભો રહીને તેમની ગુફ્તેગુ સાંભળવા લાગ્યો. તેઓ પૂછતા
હતાં કે કેવી રીતે થયો દંશ, ક્યાં થયો, પછી
શું કર્યું વિગેરે વિગેરે. પછી એમણે પૂછ્યું “કેટલી વાયલ (એન્ટી સ્નેક વિનીનની)
આપી?” જવાબ સાંભળીને તેઓ બોલ્યા “આ ડોક્ટરોય સાલા . . .
આવીના, તેવીના છે, એ.એસ.વી. દેવાની
જરૂર જ ક્યાં હતી? મને કેટલા બાઈટ થયા છે? મારા શરીરમાં ઢગલો એન્ટી બોડી બનેલા જ છે. ખાલી મારા લોહીની એક બોતલ ચડાવી
દે એટલે બીજે દિવસે કૌશલ ઓલરાઈટ. કોઈ દવા-ફવાની જરૂર જ ક્યાં હતી ?” આ સાંભળીને હું હસવું રોકી ન શક્યો . . . અને મને જોઈને તેઓ ઓઝપાઈ ગયા અને
કેમ છો, કેમ નહીં વગેરે કરીને ઝડપથી સાપની જેમ સરકી ગયા!
હવે આવે છે મૂળ
વાત, સર્પદંશ થાય તો તેની દવા તરીકે વપરાતી એન્ટી સ્નેક વિનીન
એટલે કે ઝેર વિરોધી રસી છે શું? શું
આમ કોઈને સર્પદંશ થયો હોય અને તેનું લોહી ચડાવી દેવાય તો ખરેખર બીજો વ્યક્તિ બચી
જઈ શકે ? તો એની સમજણ માટે સર્પના ઝેર અંગે સમજણ કેળવવી પડે.
ભારતીય સર્પોમાંના ઝેરી સર્પોના ઝેરમાં મુખ્યત્વે બે પ્રકાર છે. એક તો
ન્યુરોટોક્સિક ઝેર અને બીજું છે હીમોટોક્સિક ઝેર. નાગ અને કાળોતરાના ઝેર
ન્યુરોટોક્સિક હોય, જ્યારે ખડચીતળા અને ફુરસા નામના વાઈપરનું ઝેર હીમોટોક્સિક હોય છે.
ન્યુરોટોક્સિક ઝેરથી માણસની નર્વસ સીસ્ટમ ક્ષત-વિક્ષત થઈ જાય અને શરીરના અંગો પરથી
દિમાગનું નિયંત્રણ જતું રહે છે. જ્યારે હીમોટોક્સિક ઝેર માણસના રુધિરાભિસરણ તંત્ર પર
હુમલો કરીને શરીરના સ્નાયુઓ તથા માંસપેશીઓને ગંભીર ઈજા પહોંચાડે છે.
સર્પના દંશની સારવારના સંશોધનો બાદ પ્રથમ મોનોવેલન્ટ દવા શોધાઈ. મોનોવેલન્ટ એટલે
એવી દવા જે સર્પની જાતિના પ્રકાર મુજબ એટલે કે કોબ્રા
માટે અલગ, કાળોતરા માટે અલગ, ખડચીતળા
માટે અલગ અને ફુરસા માટે અલગ એ રીતે અલગ અલગ દવાની રસીઓ હતી. સમય જતાં વૈજ્ઞાનિક
નવા સંશોધનોના આધારે પોલીવેલન્ટ એટલે કે કોઈ પણ ઝેરી સર્પ કરડ્યો હોય તો તેના
ઉપચાર માટે એક જ પ્રકારની દવા શોધી લેવાઈ અને ત્યારથી સર્પદંશના લીધે થતાં
મૃત્યુની સંખ્યામાં મોટો ઘટાડો થયેલો. તેમ છતાં આજે વર્ષે આશરે ચાલીસેક હજારથી પણ
વધુ મૃત્યુ સરકારી ચોપડે નોંધાય છે, અને વણનોંધ્યા મૃત્યુ
અલગ! પણ આપણે હવે સમજવું છે કે આ પોલીવેલન્ટ બને છે કેવી રીતે . . . કારણ કે
સર્પદંશની દવા બાબતે આપણા સૌમાં મોટે ભાગે થોડી ઘણી તો ગેરમાન્યતા અથવા સમજણનો
અભાવ તો વરતાય જ છે. આ ગેરસમજણનું કારણ છે આપણી ગુજરાતી એક કહેવત. આપણે છાશવારે
કહીએ છીએ કે “ઝેરનું મારણ ઝેર” અને જ્યારે સર્પદંશના ઉપચારની અને તેની દવાની વાત
આવે છે ત્યારે આપણે આપણું જ્ઞાન છલકાવ્યા વિના રહી શકતા નથી, અને બોલી જ પડીએ છીએ કે “સાપના ઝેરની દવા સાપનું ઝેર જ હોય છે.” અને અંશત:
આ વાત સાચી જ છે, પરંતુ અંશત: બાકીના ભાગથી આપણે અજાણ છીએ. આ
બાકીનો ભાગ એટલે ઝેર વિરોધી રસીની બનાવટ. સર્પના ઝેર વિરોધી રસી બનાવવાની પ્રક્રિયા
આમ જુઓ તો એકદમ જટીલ છે અને આમ જુઓ તો સાવ સરળ છે.
શરીરમાં કોઈ પણ બાહ્ય પદાર્થ આવી ચડે ત્યારે તે નુકસાનકર્તા હોય તો શરીરની
ઈમ્યુન સીસ્ટમ તરત તેની સામે જંગે ચડવા બાંયો ચડાવીને તૈયાર થઈ જતી હોય છે. એ
સીસ્ટમના ભાગરૂપે જ્યારે સર્પ દંશે અને ઝેર શરીરમાં પ્રસરવા લાગે ત્યારે શરીરમાં
તેની સામે યુદ્ધે ચડવા એન્ટી-બોડીઝ તૈયાર થવા લાગે છે. પરંતુ ઝેરની તિવ્રતા અને જે
શરીર છે તેની ઈમ્યુન એટલે કે રોગ પ્રતિકારક શક્તિ ઝેરની મારકતાને પહોંચી ન વળે તો
મૃત્યુ થાય. અવા સંજોગોમાં તબીબી સારવારમાં આપવામાં આવતી ઝેરી રસી ઝેરને નિષ્ક્રીય
બનાવી નાખતા એન્ટી-બોડીઝની બનેલી હોય છે. તો પછી આ એન્ટી-બોડીઝ બને કેવી રીતે એ પણ
સમજવું રહ્યું ને ?
ભારતમાં સર્પોના દંશ સમયે આપવાની ઝેર વિરોધી રસી આપણે કોઈએ કલ્પી ન હોય તે
પદ્ધતિથી બનાવવામાં આવે છે. ભારતમાં સને ૨૦૦૭ માં થયેલી નોંધણી મુજબ કુલ છ એન્ટી વિનમ
તૈયાર કરતી કંપનીઓ છે. ૧. સેન્ટ્રલ રીસર્ચ ઈન્સ્ટિટ્યુટ ઓફ કસૌલી, હિમાચલ પ્રદેશ ૨.
હાફકીન્સ બાયોફર્માસ્યુટિકલ કંપની ૩. સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા લી., પૂણે ૪. વી.એન.એસ.
બાયોપ્રોડક્ટ્સ લી., આંધ્ર પ્રદેશ ૫. કિંગ ઈન્સ્ટિટ્યુટ ઓફ પ્રિવેન્ટીવ મેડીસીન્સ, ચેન્નાઈ અને ૬. ભારત
સીરમ એન્ડ વેક્સીન્સ લી., મુંબઈ. આ છ કંપનીઓ વર્ષમાં એ.એસ.વી.ની
આશરે પાંચ લાખ વાયલ્સનું ઉત્પાદન કરે છે. તેઓ પોતાના ઉત્પાદન કેન્દ્રોમાં ચારેય
પ્રકારના સર્પોને રાખી સમયાંતરે તેનું ઝેર કાઢવામાં આવે છે. પછી લેબોરેટરીમાં
રખવામાં આવતા ઘોડા અને મરઘાઓના શરીરમાં ચારેય સર્પોના ઝેરને સાવ થોડી માત્રાથી
ઈન્જેક્ટ કરવાનું ચાલુ કરાય છે. જેમ જેમ આ પ્રાણીઓના શરીરમાં સર્પના ઝેર સામે લડી
લે એટલી માત્રામાં એન્ટી-બોડીઝ બનતા જાય છે. ઝેરની માત્રા દિવસે દિવસે જેમ જેમ
વધારાતી જાય તેમ તેમ ઘોડા અથવા મરઘાના શરીરમાં પણ એન્ટી-બોડીઝ વધતા જાય છે. અને આમ
એક સમયે આ પ્રાણીઓને ઝેરનો ફૂલ ડોઝ અપાય અને છતાં તેને કોઈ અસર ન થાય ત્યારે તે
પ્રાણીનું લોહી કાઢી લેવામાં આવે છે. ત્યાર બાદ આ લોહીમાં રહેલા ઝેર વિરોધી
તત્વોને સેપરેટ કરીને તેને પાવડર સ્વરૂપ(ક્રિસ્ટલ)માં બદલી નખાય છે. અને આ પાવડર જ ઇન્જેક્શન સ્વરૂપે સર્પદંશના
કિસ્સાઓમાં દવા તરીકે વપરાય ત્યારે માનવ શરીર જે એન્ટી-બોડીઝ તરત ન બનાવી શકે તે એન્ટી-બોડીઝ
એન્ટી સ્નેક વિનીનના સ્વરૂપમાં ઝેરની સામે ભીષણ યુદ્ધ ખેલીને માનવનું જીવન બચાવે
છે.
મને લાગે છે કે મોટા ભાગના વાંચકોએ સર્પના ઝેર સામેની રસી આટલી જટીલ રીતે બનતી
હશે તે કલ્પ્યું પણ નહીં હોય. હું કંઈ વિજ્ઞાનનો વિદ્યાર્થી નથી, કે નથી સંશોધક, તો પછી આ માહિતી મળી ક્યાંથી ? સર્પ સાથે મારો નાતો જોડાયા બાદ, મારા મનમાં સતત તેની સાથે
જોડાયેલા વિવિધ પાસાઓ સમજવાની મથામણ રહેતી. એક દિવસ હાફકીન્સ ઈન્સ્ટિટ્યુટનું
સરનામું મેળવીને તેના ડાયરેક્ટરને પત્ર લખી નાખવાનું દુ:સાહસ કર્યું હતું. મારા
આશ્ચર્ય વચ્ચે થોડા જ સમયમાં મારી માંગણી મુજબ આમ-આદમીને સમજાય એવી ભાષામાં એન્ટી
સ્નેક વિનીન બનાવવાની પ્રક્રિયા સમજાવતો ઉત્તર મળી ગયેલો. આશા છે કે “જિજ્ઞાસામાતાનો
મને જેવો પરચો મળ્યો અને ફળ્યો તેવો આપ સૌને પણ મળશે અને ફળશે !
અસ્તુ.
- vichar_valonu@yahoo.com

Jay nagdada
ReplyDeleteહા હા હા . . . જય નાગ દેવતા . . .
Deleteધન્યવાદ . . .
ReplyDeleteઆભાર . . . .
ReplyDeleteThenks sir
ReplyDeleteઆભાર ભાઈ/બહેન . . .
Deleteઉત્તમ માહિતી આપી
ReplyDeleteમલયભાઈ . . . ધન્યવાદ . . .
DeleteOne more beautifully written article.... Sirji🙏🙏
ReplyDeleteખુબ આભાર
DeleteJordar jitendrabhai. Tamaro sarpmitra vipul baldha, amreli
ReplyDeleteથેંક યુ ભાઈ
Deleteમને પણ એમ જ હતું કે સાપ નું ઝેર કાઢી એમાંથી જ દવા બનતી હશે..પણ આ તો ખૂબ જ રસપ્રદ અને એકદમ ઘૂંટડો ઊતરી જાય ગયો...આવુ જાણ્યા પછી સાપ કરડે તો વિક્ટીમ ને ભય ઓછો લાગે છે ખરેખર આ જાણકારી બને એટલી વધુ સરળ રીતે સમજાવી ફેલાવીએ તો સાપ અને મનુષ્ય નો સંબંધ મજબૂત બને..ખીચડીમાં ઘી....
ReplyDeleteમારા લેખોનું ધ્યેય જ છે કે સર્પો અંગે એકદમ સરળ અને સમજાઈ જાય એ રીતે જટીલ વાતોને પણ મુકવી જેથી લોકોમાં સાચું જ્ઞાન પ્રસરે. ધન્યવાદ . . .
Deleteઆ પ્રક્રિયા આપની પાસેથી પ્રથમ વખત જાણી...આભાર અને અભિનંદન સાહેબ.
ReplyDeleteવાહ . . . બહુ સરસ . . . એક વધુ વ્યક્તિ સુધે જ્ઞાન પહોંચ્યુ . . .
ReplyDeleteનમસ્કાર ગુરૂજી
ReplyDeleteનમસ્કાર ભાઈ . . . આમાં નામ નથી આવતું . . . ઓ પરિચય આપશો . . . કદાચ કેતનભાઈ લાગે છે.
Deleteવાહ.ખૂબ જ સરસ અને રસપ્રદ માહિતી આપી.
ReplyDelete